વેરાવળ : ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. ગતરોજ 7 જૂલાઈના રોજ ભારે વરસાદ Varsad વરસતા ગીર સોમનાથના કેટલાય વિસ્તારો જળમગ્ન બન્યા હતા. ત્યારે આજરોજ તારીખ 8 જૂલાઈના રોજ પણ વરસાદ યથાવત છે. આજરોજ ગીર સોમનાથના 6 તાલુકામાં સવારે ચાર કલાકમાં 1 થી 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધારે સુત્રાપાડામાં 3.5 ઈંચ વરસાદ અને તાલાલામાં સૌથી ઓછો 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જ્યારે નાળા-વોંકળમાં પૂર જેવી સ્થીતી જોવા મળી હતી.
સુત્રાપાડાની સરસ્વતી નદીમાં ઘસમસતા પાણીના પ્રવાહનું પુર આવતા સુપ્રસિધ્ધ યાત્રા ધામ પ્રાચી તીર્થનું માધવરાજી ભગવાનનું મંદિર પણ જળમગ્ન થયું છે. કોડીનાર પંથકમાં પણ ભારે વરસાદને પગલે ખેતરો પાણીથી તરબોળ થયા છે. પાણી સતત બીજા દિવસે વરસતા વરસાદને લીધે પણ ઓસરે તેમ ન હોય ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સાથે જ વરસાદ આવે ત્યારે તંત્રની પણ પોલ ખુલે જ તેવી રીતે સુત્રાપાડાના ધામળેજમાં પાણીનો ટાંકો જમીનમાં બેસવા લાગ્યો છે.
વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં આજરોજ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. વહેલી સવારથી મેહરબાન મેઘરાજા વરસી રહ્યાં છે ત્યારે સવારે 6થી 10 વાગ્યા સુધી માત્ર ચાર જ કલાકમાં વેરાવળમાં 1.5 ઈંચ, સુત્રાપાડામાં 3.5 ઈંચ, ગીર-ગઢડામાં 2.5 ઈંચ, તાલાલામાં 3મી.મી. કોડીનારમાં 1.5 ઈંચ, ઉનામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.