જાણો ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ કેટલા બહાદુર હતા અને એવા કયા કાર્ય બદલ તેમને 4 મહિના પહેલા આ જ તારીખે રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી કર્યા સન્માનિક – Solo survivor Captain Varun Singh honoured with Shaurya Chakra janva jevu
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના 7 દિવસ બાદ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું અવસાન થઈ ગયું. ડોક્ટરોના પ્રયાસો છતાં કેપ્ટન વરુણની સ્થિતિમાં ખાસ સુધારો થઈ શક્યો નહીં અને બુધવારે બેંગ્લોરની હોસ્પિટલમાં તેનું નિધન થયું. આ અંગેની માહિતી ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આપી હતી. વાયુસેનાએ કહ્યું કે ગ્રુપ કેપ્ટન વરુણનું ગંભીર ઈજાને કારણે મોત થયું છે.

જણાવી દઈએ કે 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ વરુણને પહેલા વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની ગંભીર હાલતને જોતા તેમને બેંગ્લોર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિતા સહિત 13 જવાનો શહીદ થયા હતા. આવો જાણીએ કેપ્ટન વરુણ વિશે…
42 વર્ષીય ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ વીરતા પુરસ્કાર વિજેતા હતા અને તે લશ્કરી પરિવારમાંથી આવતા હતા. તેમનો પરિવાર ત્રણેય દળો -નેવી, આર્મી અને એરફોર્સ સાથે સંકળાયેલો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ભારતીય વાયુસેના (IAF)થી હતા. તેમના પિતા નિવૃત્ત કર્નલ કેપી સિંહ આર્મી એર ડિફેન્સ (AAD) રેજિમેન્ટમાં હતા. કર્નલ કેપી સિંહના બીજા પુત્ર લેફ્ટનન્ટ કમાન્ડર તનુજ સિંહ ભારતીય નૌકાદળમાં છે.
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમની નિષ્ફળતા છતાં 12 ઓક્ટોબર 2020ના રોજ લગભગ 10,000 ફૂટની ઊંચાઈએથી તેજસ પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ માટે તેમને 4 મહિના પહેલા આ જ તારીખે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા.

દુર્ઘટના સમયે વરુણે ધીરજ ન ગુમાવી અને વિમાનને વસ્તીથી દૂર લઈ જઈને તેનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના બાદ વરુણના પિતા કર્નલ કેપી સિંહે કહ્યું હતું કે મારો પુત્ર ઘણો બહાદુર છે. તે જાણે છે કે કેવી રીતે લડવું અને પરિસ્થિતિઓનો સામનો કરવો.
શૌર્ય ચક્ર પ્રાપ્ત કર્યાના એક મહિના પછી સપ્ટેમ્બર 2021ના રોજ વરુણે તે શાળાને એક પત્ર લખ્યો જ્યાંથી તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પત્રમાં વરુણે વાત કરી હતી કે તે કેવો સામાન્ય વિદ્યાર્થી હતો અને તેણે પોતાની જાતને એક શાનદાર કારકિર્દી અને અસાધારણ જીવન માટે કેવી રીતે તૈયાર કર્યા હતા.

ગ્રુપ કેપ્ટન વરુણ ખૂબ જ અનુભવી પાયલોટ હતા. આ જ કારણ છે કે તેમને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. શાંતિના સમયમાં આપવામાં આવેલો આ સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસ વિમાનની ઉડાન દરમિયાન ઉભી થયેલી ઈમરજન્સીમાં સાવચેતીપૂર્વક બચાવવા બદલ આપવામાં આવ્યો હતો. તે 12 ઓક્ટોબર 2020ના રોજ તેજસ વિમાન ઉડાનમાં હતા. તે એકલા આ પ્લેન ઉડાવી રહ્યા હતા, ત્યારે આ પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા આવી હતી. કોકપીટ પ્રેશર સિસ્ટમની નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. તેમણે સમય બગાડ્યા વિના પરિસ્થિતિને સંભાળવાની સાથે યોગ્ય નિર્ણય લીધો અને વસ્તીથી દૂર લઈ જઈને સફળ ઉતરાણ કર્યું હતું.