રાજકોટ ન્યુઝ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Gandhiji) ટાંકી સીધી કે આડકતરી રીતે ટિપ્પણી કરી વિવાદ ખડો કર્યાની ઘટના ઘણી વખત સામે આવી ચૂકી છે. ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં યોજાયેલા કવિ સંમેલનમાં પણ કવિની કવિતાએ વિવાદ જગાડ્યો છે.
કથિત રાષ્ટ્રવાદના ઓઠા તળે કવિતામાં કવિએ મહાત્મા ગાંધીને આઝાદીની ચળવળમાં ખલનાયક બતાવવા કોશીષ કરી હોવાનો આરોપ લોકો કરી રહ્યાં છે. જે મામલે કોંગ્રેસે (Professional’s Congress) વિરોધ પ્રગટ કરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી રાજકીય વિવાદને વધુ વેગ આપવાનો પ્રયાસ કર્યો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 31 જૂલાઈના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત યોજાયેલા કવિ સંમેલનમાં મહારાષ્ટ્રના કવિ દેવ કૃષ્ણ વ્યાસ દ્વારા એક કવિતા પ્રસ્તુત કરવામાં આવી હતી. જે કવિતાાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આઝાદીની ચળવળમાં ખલનાયક બતાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે કથિત રાષ્ટ્રવાદી કવિ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા કોંગ્રેસે વિરોધ પ્રગટ કર્યો છે.
કોંગ્રેસે ઘટના મામલે રોષ પ્રગટ કરી રાજકીય વિવાદને વેગ આપ્યો છે સાથે જ પ્રોફેશનલ કોંગ્રેસે કવિ સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માગણી સાથે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અગાઉ તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પણ રજૂઆત કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતા તેમણે પોલીસને અરજી આપી છે.
રાષ્ટ્રવાદના નામે ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે આ મુદ્દાને લઈ કાર્યવાહી શરૂ કરી છે.