રાજકોટ : આજરોજ તારીખ 26 જૂલાઈના રોજ રાજકોટની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejrwal) ટાઉન હોલ ખાતે રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે GST મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વેપારીને ડરાવીને રાખે છે સરકાર. આ સરકારે દૂધ, દહીં અને છાસ પર જીએસટી લાગુ કર્યો પણ હવે હવા પર પણ જીએસટીનો લગાવે તો નવાઈ નથી !

કેજરીવાલે વેપારીઓનો વચન આપ્યું કે, આમ આદમી પાર્ટી AAP ને આગામી વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાતમાં સરકાર બનાવવાનો મોકો મળશે તો સૌ પ્રથમ આ 5 કાર્ય કરીશું. જેમાં સૌ પ્રથમ ભયનું વાતાવરણ દૂર કરીશું, ઉદ્યોગપતિ અને વેપારી નીડરતાથી કાર્ય કરી શકે તેવું વાતાવરણ ઉભું કરીશું અને વેપારી તેમજ ઉદ્યોગપતિને ઈજ્જત આપીશું. ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવશે અને જીએસટીનું રિફંડ 6 મહિનામાં આપવામાં આવશે, સાથે જ વેપારીઓને જીએસટીની ગૂંચવણો દૂર કરી સમસ્યાનું નિરાકરણ કરીશું.
વધુ વાંચો- દારૂના અડ્ડામાં અધિકારી અને સરકાર ભાગીદાર છે: જગદીશ ઠાકોર

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, તમે કોઈ પણ સમયે અમને કોલ કરી શકો છો. માટે અમારી સરકારે 1079 નંબર લોન્ચ કર્યો છે જમાં તમારી સમસ્યા અમે સાંભળીશું. ભાજપની સરકાર છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે છતાં તેમણે વેપારીને સાંભળ્યા નથી. આજરોજ તમે બોલશો તો મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ બંને મને સાંભળતા હશે.

આ ઉપરાંત મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, GSPC મનમાની કરી રહી છે, કોઈ પણ સમયે રૂપિયા વધારી દે છે. તમામ ફેકટરીમાં પાણીની વ્યવસ્થાની વાતો કરવામાં આવે પરંતુ ફેક્ટરીમાં તો ઠીક ઘરમાં પણ પાણી મળ્યું નથી. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં સૌથી વધુ ટેક્સ ભરે છે, છતાં મોરબીમાં આવો ત્યારે ધૂળ સિવાય બીજું કશું નથી મળતું.