જામનગર : રાજ્યમાં ફાયર એનઓસી અને ICU ફરજિયાત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનો નિર્ણયના વિરોધમાં ગુજરાતભરમાં ખાનગી હોસ્પિટલના તબીબીઓ એક દિવસની હડતાલ પાડી છે. આ હડતાલમાં જામનગરના પણ ખાનગી હોસ્પિટલ સંચાલક તબીબો જોડાયા હતા. ત્યારે IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના એલાન અનુસાર રાજયના 30 હજારથી વધુ ખાનગી તબીબો આજે તેમની ખાનગી હોસ્પિટલ અને દવાખાના તેમજ લેબોરેટરી બંધ રાખી હડતાલમાં જોડાય હતા. જેના પગલે શહેરમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગર (Jamnagar)ના 300થી વધારે ખાનગી તબીબોએ ફાયર સેફ્ટી અને ICUના નિયમના વિરૂધ્ધમાં હડલાતમાં હિસ્સો લીધો હતો. આ એક દિવસીય હડતાલમાં સવારથી હોસ્પિટલ અને દવાખાના સહિતના ઈમરજન્સી સારવારના દવાખાના બંધ હોય ખાનગી દવાખાના ભેંકાર ભાસી રહ્યાં હતા. ખાનગી તબીબોના સરકાર સામેના પ્રશ્નને કારણે થયેલી હડતાલનો ભોગ દર્દીઓ બન્યા હોય તેવો કચવાટ નગરમાં જોવા મળ્યો હતો.
ખાનગી તબીબોની હડતાલે દર્દીઓને જાણે ભગવાન ભરોસે છોડી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈમરજન્સીમાં દર્દીઓ નજીકના દવાખાને પહોંચવા પ્રયાસ કરતા હોય પરંતુ આજરોજ લોકો જી.જી. હોસ્પિટલ સુધી દોડવા મજબૂર થયા હતા. જેના કારણે ડોકટરોની હડતાલની નકારાત્મક અસર લોકોના પ્રતિભાવોમાં જોવા મળી રહી હતી. સરકારી દવાખાને પણ સામાન્ય રીતે ભીડ હોય છે ત્યારે ખાનગી દવાખાના બંધ હોવાથી વધારે ભીડ જોવા મળી હતી. જેના કારણે સરકારી હોસ્પિટલના સ્ટાફ પર કામનું ભારણ અચાનક વધી ગયું હોવા છતાં ખુબ સારી રીતે કામ પાર પડી રહેતું જોવા મળ્યું હતું.
બીજી તરફ ફાયર સેફટી અંગેના નિયમોનો વિરોધ કરવા જામનગર શહેરના ખાનગી પ્રેકટીસ કરતાં તબીબો આઇએમએના નેજા હેઠળ એમપી. શાહ મેડિકલ કોલેજ પરિસરમાં એકત્ર થયા હતા. જયાં બેનર સાથે સરકારના નિયમો સામે નારાજગી દર્શાવી વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ સરકાર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસ પાછી ખેંચવા માંગણી કરવામાં આવી હતી. જામનગર ઉપરાંત રાજયભરના 30 હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાળ પાડી રહયા છે. જેને કારણે રાજયભરમાં ખાનગી હોસ્પિટલોની ઓપીડી ઇમરજન્સી સેવાઓ બંધ પડી છે. હજારો ઓપરેશનો પણ અટકી પડયા છે. આઇએમએના જણાવ્યા અનુસાર આઇસીયુને ફરજિયાત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનો નિર્ણય વ્યવહારિક રીતે શકય નથી. અમદાવાદમાં પણ ખાનગી તબીબોએ આશ્રમ રોડ પર આવેલી IMAની ઓફિસ પાસે એકત્ર થઇને વિરોધ દર્શાવ્યો હતો.
જામનગરના સમાચાર વાંચવા માટે અહિં ક્લીક કરો