Gujarati News Live : અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી લોકસંપર્ક અને રાજ્યના લોકોના મુખ્ય મુદ્દા પર પ્રદર્શનો કરવા લાગી છે. સૌથી પહેલા શિક્ષણ અને શાળા મામલે સત્તાધારી ભાજપને ચેલેન્જ કર્યા બાદ હવે વીજળી મામલે રાજ્ય સરકારને આમ આદમી પાર્ટી ઘેરી રહી છ. આમ આદમ પાર્ટી AAP એ આજરોજ વીજળીનો મુદ્દો ઉઠાવી રાજ્ય વ્યાપી પત્રકાર પરિષદો કરી હતી. પ્રથમ ચરણમાં પત્રકાર પરિષદ બાદ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી જિલ્લા કલેકટરને વીજળી સસ્તી કરવા માટે આવેદન પાઠવશે.
આજરોજ યોજેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો તે પહેલા ભાજપ-કોંગ્રેસે માત્ર જનતાને લૂંટવાનું કાર્ય કર્યું છે. પણ જ્યારથી આમ આદમી પાર્ટીનો અને અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય થયો છે ત્યારથી રાજકારણમાં સમગ્ર દેશની સમસ્યાઓએ સ્થાન લીધુ છે. અરવિંદ કેજરીવાલની સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર કાર્ય કર્યું છે. અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સારૂ કાર્ય કરે માટે અમે કાર્યરત છીએ.
AAPના વીજળી આંદોલનના મંડાણ આગામી સમયમાં મોટી લડત કરશે – Gujarati News Live

ઈટાલીયાએ વધુંમાં જણાવ્યું કે, ભાજપ સરકારને ગુજરાતમાં શિક્ષણ મામલે પડકાર આપ્યો છે અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત સરકારના શિક્ષણના મોડલનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે હવે વીજળીના મુદ્દાને આક્રમકતાથી રજૂ કરી આંદોલન કરવા જઈ રહ્યાં છીએ. ભાજપે સરકારી પ્લાન્ટમાંથી વીજળીનું ઉત્પાદન ઘટાડી ખાનગી વીજ કંપનીઓને પ્રોત્સાહિત કરી છે. આમ સરકારે ઉત્પાદન બંધ કરી ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવની વીજળી ખરીદી શરૂ કરી છે. ભાજપે પ્રજાને લૂંટીને પોતાના ચૂંટણી ફંડની વ્યવસ્થા કરવાનું કામ કર્યું છે. ભાજપના આ કૌભાંડને ખુલ્લા પાડવા માટે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરી રહી છીએ.

આમ આદમી પાર્ટીની માગણી રજૂ કરતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે રાજ્યમાં ભાજપ સરકાર સસ્તી વીજળી આપે, ભાજપ સરકાર મફતમાં વીજળી આપવાનું કામ તો કરી જ નહીં શકે કારણ કે એ કાર્ય આમ આદમી પાર્ટી જ કરી શકે છે. આગામી ચૂંટણીમાં જીત મેળવી આ કાર્ય કરવાના છીએ. આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો કરી સરકારને વીજળી મામલે ઢંઢોળવામાં આવશે હાલ આગમી કાર્યક્રમોની માહિતી આપી શકાય તેમ નથી.