પરાગ સંગતાણી, વેરાવળ સમાચાર : વેરાવળમાં આપ (આમ આદમી પાર્ટી- AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું કેસિસી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. આ તકે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સભાને સંબોધતા શરૂઆતમાં જ ગુજરાતમાં તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ (Latthakand)ના મુદ્દાથી શરૂઆત કરી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પડવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેઓએ પીડિતોની મુલાકાત લીધી હતી. હજુસુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમને મળવા આવ્યા ન હતા. સી.આર. પાટીલ પણ પીડિતોને મળવા નથી ગયા. દરેક વસ્તુમાં વોટ ન જોવા જોઈએ. નશાબંધીના નામે હજારો કરોડોના ધંધા ચાલી રહ્યા છે. જે લોકો પોતાના બાળકોને ઝેરી દારૂ પીવડાવવા ઈચ્છે છે તે ભાજપમાં વોટ આપે અને જે લોકો પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા ઈચ્છે છે તે આમ આદમી પાર્ટીને વોટ આપી વિજય બનાવે.બેરોજગારીના કારણે તાજેતરમાં ગુજરાતના 23 વર્ષના યુવાને આત્મહત્યા કરી હતી.સરકારી નોકરી માટે રિશ્વત આપવી પડે છે અને નોકરી મળતી નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના એક એક યુવાનનો મોટો ભાઈ આવી ગયો છે, હવે આત્મહત્યા કરવાની જરૂર નથી. દરેક માતા-પિતાનો દીકરો આવી ગયો છે.
આ કાર્યક્રમમાં AAPના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 7 વર્ષથી દિલ્હીમાં આપ સરકાર છે. ત્યાં કોઈનું પણ અકસ્માત થાય તો બિલ સરકાર ભોગવે છે. ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 28 વર્ષનો ઢગો હોવા છતાં દવાખાના માટે સામાન્ય માણસને ઘરેણા વેચવા પડે છે. ભાજપના નેતાઓએ ઘણી બેઠકો કરી છે. ગુજરાતની જનતાને જે વીજળી ફ્રી આપવા જઇ રહ્યા છે તે નથી આપવા દેવી.
પ્રદેશ ઉપ પ્રમુખ જગમાલ વાળાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનો સમગ્ર ગુજરાતમાં 125 સીટ મેળવવાનો લક્ષ્યાંક છે. અગાઉ કોઈ વિરોધ પક્ષ મજબૂત ન હતો પરંતુ હવે છે. ઉપરાંત આપની સરકાર સામાન્ય લોકોને ફ્રી શિક્ષણ મળી રહે તે માટે આવનારા દિવસોમાં વેરાવળમાં વોર્ડ વાઇસ 3 એટલે 11 વોર્ડમાં 33 સ્કૂલ બનાવશે અનેવિદ્યાથીઓને ફ્રી ભણતર આપશે.
કેજરીવાલે સોરઠની જનતાને 5 ગેરંટી આપી
- પ્રત્યેક બેરોજગારને રોજગારી પુરી પાડવામાં આવશે.
- જ્યાં સુધી નોકરી ન મળે, ત્યાં સુધી પ્રત્યેક બેરોજગારને ₹3000 પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
- આશરે 10 લાખ સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે.
- પેપર ફૂટવા સામે કડક કાયદો બનાવવામાં આવશે અને સુનિશ્ચિત કરવામાં આવશે કે પેપર ફૂટ્યા વગર તમામ પરીક્ષા સમયસીમામાં પૂર્ણ થાય.
- સહકારી ક્ષેત્રની નોકરીઓમાં લાગવગ અને ભ્રષ્ટાચાર બંધ કરી પારદર્શિતા લાવી આમ જનતાને પણ આ ક્ષેત્રમાં નોકરીની તક આપવામાં આવશે.