ગુજરાતી ન્યુઝ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પડઘમ ગમે ત્યારે વાગી શકે છે. એવામાં ગુજરાતમાં સરકાર બનાવવા જનાદેશ પોતાના તરફ મેળવવા માટે આમ આદમી પાર્ટી AAP પુરી તાકાત લગાડતી જોવા મળી રહી છે. ત્યારે AAP ના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ફરી એકવાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર નિશાન તાક્યું છે.
ગુજરાતમાં સતત પ્રવાસ ખેડી રહેલા દિલ્હી AAP ની સરકારના મુખ્યમંત્રી કેજરીવાલે ફરી રાજકારણમાં હડકંપ મચાવતી ટ્વિટ કરી છે. રાજકારણના પાસા ફેંકવામાં ફરી એકવાર કેજરીવાલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil)ને ટાંકી ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે સુત્રોનો હવાલો આપી સી.આર. પાટીલને હટાવવામાં આવશે તે મતલબનું લખાણ લખ્યું છે.
વધુ વાંચો- દીવમાં કોહીનુર હોટેલ પાસે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત
શબ્દસહ અરવિંદ કેજરીવાલની ટ્વિટમાં લખ્યું છે કે, ‘ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખરાબ રીતે ડરેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટૂંક સમયમાં હટાવવા જઈ રહ્યા છે. શું ભાજપ આટલી ડરી ગઈ છે ?’
બીજી તરફ અરવિંદ કેજરીવાલના ટ્વિટને પ્રતિક્રિયા આપી પલટવાર કરતા ભાજપના ડૉ. ઋત્વિજ પટેલે ટ્વિટ કર્યું કે, ‘ રાજકારણ અને લોકસેવા સૂત્રો દ્વારા કરવામાં આવતી નથી, રેવડીવાલ જી!! ભાજપની વધારે ચિંતા ન કરો, દારૂ મંત્રી અને તમારી ચિંતા કરો, રેવડીવાલજીની પાસે કોઈ જવાબદારી નથી, બસ હવે સુત્રોની વાત કરશે, સાચું જ કહ્યું છે કે ખાલી દિમાગ શૈતાનનું!!’
આમ હવે ગુજરાતમાં ચૂંટણી જંગ પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાઈ ગયું હોય તેમ જણાય છે. આ શાબ્દિક યુધ્ધ થકી દારૂ મામલે ભ્રષ્ટાચારમાં ભાજપ કેજરીવાલને ઘેરવા જઈ રહી છે જ્યારે શિક્ષણ, રોજગારી, સરકારી સંસ્થાનો દુરઉપયોગ સહિતના મુદ્દે આમ આદમી પાર્ટી ભાજપને ઘેરવા જઈ રહી છે.